'ઉમંગ' એટલે ઉત્તર ગુજરાત મનોવિજ્ઞાન પરિવાર. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના મનોવિજ્ઞાન વિષયના અધ્યાપકોનું આ એક એવું નિષ્ઠાવાન સંગઠન છે, જે શિક્ષણ અને સંસ્કારના સમન્વય દ્વારા વિષયની ગરિમા વધારવા કટિબદ્ધ છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં કાર્યરત અધ્યાપકોની પ્રતિભાને બિરદાવવાનો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રેરણાદાયી વાતાવરણ પૂરું પાડવાનો છે. વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો, ઉત્કૃષ્ટ કાર્ય કરનાર અધ્યાપકોનું સન્માન અને વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપીને 'ઉમંગ' પરિવાર મનોવિજ્ઞાન વિષયને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સતત કાર્યરત છે. આવો, આપણે સૌ સાથે મળીને આ વિષયને સમાજ ઉપયોગી અને પ્રેરણાત્મક બનાવીએ.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાંચ જિલ્લાઓ - મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં કાર્યક્ષેત્ર ધરાવે છે, જ્યાં એક તરફ કચ્છનું રણ છે તો બીજી તરફ આદિવાસી વસ્તી ધરાવતો ડુંગરાળ વનપ્રદેશ છે. મુખ્યત્વે કૃષિ આધારિત અર્થતંત્ર અને ગ્રામીણ વસ્તી ધરાવતા આ વિસ્તારની શૈક્ષણિક અને સાંસ્કૃતિક જરૂરિયાતો પૂરી કરવા માટે વર્ષ 1986માં આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી, જેનું મુખ્ય મથક ઐતિહાસિક શહેર પાટણ ખાતે રાખવામાં આવ્યું છે. સોલંકી શાસકોની રાજધાની અને મહાન ચિંતક હેમચંદ્રાચાર્યની પવિત્ર કર્મભૂમિ એવા પાટણમાં રાણીની વાવ, સહસ્ત્રલિંગ તળાવ અને પંચાસરા જૈન દેરાસર જેવા સ્થાપત્યો આ ભૂમિના ભવ્ય વારસા અને જૈન પાંડિત્યની સાક્ષી પૂરે છે.